This translation in Gujarati has been contributed by Ronak and Kruti. Original post in English is available at http://agniveer.com/truth-bliss/
Idam aham anritaat satyam upaimi
અસત્યથી દૂર જઈ “સત્ય=આનંદ” તરફ આગળ વધીએ!
સત્ય અને આનંદ એક બીજાના સમાનાર્થી છે અને આ જ વૈદિક તત્વજ્ઞાનનો સૌથી પહેલો સિદ્ધાંત છે. મૂળ શબ્દ “સત્” છે. જે સત્ય શબ્દમાં ‘સત્-ય’ તરીકે ‘સાંચુ’ અને સદ્દગતિ શબ્દમાં ‘સત્-ગતિ’ તરીકે ‘આનંદ’ નું સુચન કરે છે. આ વૈદિક જ્ઞાનના માળખાનો મૂળ આધાર બનાવે છે. વાસ્તવમાં, સત્યની શોધ દ્વારા આનંદની પ્રાપ્તિ, એ મનુષ્ય જીવનનું ખુબ જ જરૂરી અને વિશિષ્ટ લક્ષણ છે. આ વિશ્વને સારી રીતે સમજવા માટેની વૈજ્ઞાનિક પ્રગતિ અને મનુષ્યો દ્વારા કરવામાં આવતા બધા પ્રયત્નો પાછળનું મુખ્ય કારણ સત્ય દ્વારા આનંદને પ્રાપ્ત કરવાની અંત:પ્રેરણા જ છે. આ આપણી માણસાઈ વ્યાખ્યાંકિત કરે છે. સંસ્કૃતમાં માણસોને “મનુષ્ય” (કે જે સત્યનું વિશ્લેષણ અથવા તો મૂલ્યાંકન કરી શકે)કહેવાય છે.
હવે આપણે એ વારંવાર જોઈએ છીએ કે અજ્ઞાનતા અને ભ્રમ પણ કોઈક વાર આનંદ આપે છે. મનોરંજનનો આખો વ્યવસાય અને મોટા ભાગના ધર્મ સંપ્રદાયો લોકોને અજ્ઞાનતા અને ભ્રમ દ્વારા જ આનંદ આપીને વિકસતા હોય છે. આ વાત “સત્ય અને આનંદ એક બીજાના સમાનાર્થી છે” તે સિદ્ધાંતથી વિસંગત લાગે છે. આ વાતે ઘણા તત્વજ્ઞાનીઓને એ માનવા માટે મજબુર કરી દીધા છે કે આનંદ એ તો માત્ર વ્યક્તિગત સમજ અને અનુભૂતિ પર આધારિત છે અને તેનું મૂલ્યાંકન સત્ય-અસત્ય કે સાચા-ખોટાના માપદંડ પર ન થઇ શકે. આપણે આને સીમિત દ્રષ્ટિકોણથી જોઈએ તો તેઓ સાચા પણ છે. વૈદિક તત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને સમજી લીધા પછી આપણે આ દેખીતા અસત્યને ધ્યાનમાં લઈશું.
પરંતુ સંકેત ખાતર એ સમજી લો કે સત્ય અને આનંદ બે સ્થિર બિંદુઓ નથી. તેઓ સતત ચાલતી મુસાફરીનું સુચન કરે છે… પ્રગતિ તરફનો રસ્તો… કે પ્રક્રિયા. આમ પરિભાષિત રીતે કહીએ તો, જ્ઞાન એ સત્ય તરફ લઇ જતી પ્રક્રિયા માટે વપરાતો બીજો એક શબ્દ છે. સરળતા ખાતર આપણે તેમને એકબીજાના સમાનર્થી કહી શકીએ.
આપણે ભ્રમનો આનંદ માંણીએ છીએ કારણ કે જયારે આપણે તેનો આનંદ માંણતા હોઈએ છીએ ત્યારે આપણે તેને આપણી મર્યાદિત સમજ અને ક્ષમતાને કારણે સત્ય માની બેસીએ છીએ. જ્યાં સુધી ભ્રમ સત્ય લાગે અને અજ્ઞાનતા જ્ઞાન લાગે ત્યાં સુધી જ આપણે તેનો આનંદ માંણતા હોઈએ છીએ. પણ જયારે આપણું જ્ઞાન અને સમજ વધે છે ત્યારે કાલે આપણે જેનો આનંદ માંણતા હતા તેનો આનંદ આજે માણી શકતા નથી. જયારે આપણે બાળક હતા ત્યારે સ્વીચ-બોર્ડમાં આંગળીઓ મુકવામાં પણ આનંદ આવતો હતો. પરંતુ હવે આપણું જ્ઞાન વધવાથી હવે આમાં આનંદ આવતો નથી. આપણા ખોરાકની પસંદગી, આપણી વાંચનની આદતો, આપણો શોખ અને આપણી મહત્વાકાંક્ષા પણ બદલાય છે. આમ થવા પાછળનું કારણ આપણે મેળવેલું વધારે જ્ઞાન છે. આથી આનંદ આપનારી વસ્તુઓ જો આપણા વધેલા જ્ઞાનના સ્તરને યોગ્ય હોય તો જ તે વસ્તુઓ આનંદ આપી શકે છે.
હવે એ વાત પણ માની લો કે એક જ પ્રકારનો આનંદ વારંવાર મળે તો અરુચિ પેદા થાય છે. હવે જો આપણે સ્વાદિષ્ટ ગુલાબજાંબુ વારંવાર ખાતા રહીએ તો ગુલાબજાંબુ ખાવાનો આનંદ ધીરે ધીરે ઘટતો જાય છે. હવે આપણને બદલાવ જોઈએ છીએ અને આનાથી આગળ વધવા માંગીએ છીએ. નાનું બાળક હવે પથારીમાં સુઈ રહીને કંટાળી ગયું છે. હવે તે ઉભું થઇ ચાલવા માંગે છે. તે બીજી ઘણી વસ્તુઓ જાણવા અને સમજવા માંગે છે, અને તે આ બધું ગમે તેટલી વાર પડી જવા છતાં કે ઈજા પામવા છતાં પણ કરશે જ. જ્યાં સુધી તે ઉભો થવા, ચાલવા, દોડવા, કુદકા મારવા સક્ષમ નહિ બને ત્યાં સુધી તે હાર નહિ માને. આત્માનું મૂળ લક્ષણ બાળકોમાં ખુબ જ પ્રબળ હોય છે – વિકાસ પામવાનું અને પ્રગતિ કરવાનું પ્રેરક બળ.



















