વેદોમાં આર્યો અને દસ્યુના સંઘર્ષનું વર્ણન એ મૈકાલેની કુટિલ શિક્ષણ પદ્ધતિનો મુખ્ય વિષય રહ્યો છે. અજ્ઞાની પશ્ચિમી વિચારકો અને તેમના સામ્યવાદી સમર્થકોમાં આર્યોને લઈને ઘણી ખોટી માન્યતાઓ પ્રખ્યાત છે. જેમ કે:
-આર્ય જાતિના લોકો અસ્થાઈ અને ઝનુની વૃત્તિના હતા.
-આર્યોએ મધ્ય એશિયામાંથી ભારત આવીને ભારતના મૂળ નિવાસી દાસ અને દસ્યુ પર ભારે હત્યાચાર કર્યા.
-આર્યોએ દાસ અને દસ્યુ પર વિજય મેળવી, જન્મ જાત ભેદભાવને આધારે ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું.
દુઃખની વાત એ છે કે આજે મોટા ભાગના લોકો જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થાને સનાતન/હિન્દુ ધર્મનો જ એક ભાગ માને છે. આ ઉપરાંત આજે એવી પણ ખોટી માન્યતા લોકોમાં પ્રચલિત છે કે દાસ અને દસ્યુ પર થયેલા ભારે હત્યાચારના કારણે જ ભારતમાં જાતિ વ્યવસ્થાની ઉત્પત્તિ થઇ છે.
આર્ય જાતિના ભારત પર આક્રમણ અને જાતિ વ્યવસ્થા જેવી ખોટી માન્યતાઓ અને તેના પ્રચારને કારણે આજે આપણાં જ ભાઈ-બહેનો આપણાંથી અલગ થઇ ગયા છે. તેઓ પોતાને “અનાર્ય” માને છે અને તેઓના મનમાં વેદ અને વેદોને માનનારા માટે દ્વેષ અને ધ્રુણા છે. પોતાને અનાર્ય માનતા લોકોમાં મુખ્યત્વે આજના દલિત અને દ્રવિડ લોકોનો સમાવેશ થાય છે.
આજે વિદ્વાનો દ્વારા આર્યોના આક્રમણ જેવી નિરાધાર કલ્પનાઓના ખંડનમાં ઘણું બધું સંશોધન થઇ ચૂક્યું છે. ડો. આંબેડકર પણ આર્યોના આક્રમણની કલ્પના અને દસ્યુ પર થયેલા હત્યાચાર જેવી ખોટી વાતો સાથે સહમત ન હતા.
વેદોમાં વર્ણવેલા આર્ય અને દસ્યુ વિશેના સત્યને ફરીથી પ્રકાશમાં લાવવું એ જ આ લેખનો મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે અજ્ઞાનતાને લીધે આર્યોના આક્રમણની કલ્પના અને દસ્યુ પર થયેલા હત્યાચારના પ્રમાણો માટે વેદોને જ આધાર માનવામાં આવ્યા છે.
આરોપ:
વેદોમાં ઘણા સ્થાને આર્યો અને દસ્યુનો ઉલ્લેખ થયો છે. ઘણા વેદ મંત્રો દસ્યુના વિનાશની અને તેમની ધન સંપત્તિ લુંટવાનો આદેશ કરતા જોવા મળે છે. વળી ઘણા વેદ મંત્રો દસ્યુ સ્ત્રીઓ પર દયા ન કરાવી જોઈએ એ વાતને સમર્થન આપે છે. આથી એ નિષ્કર્ષ નીકળી શકે કે વેદોમાં દસ્યુ પર આર્યોના દ્વારા કરાયેલા અત્યંત ઘાતક આક્રમણનું વર્ણન છે.
સમાધાન:
ઋગ્વેદમાં દસ્યુનો ઉલ્લેખ કરતા એવા ૮૫ મંત્રો છે. દસ્યુના સમાનર્થી શબ્દ દાસના સંદર્ભમાં પણ કેટલાક મંત્રો છે. તેમાંથી લીધેલા કેટલાક મંત્રોનું અર્થીકરણ નીચે પ્રમાણે છે:
ઋગ્વેદ ૧.૩૩.૪
હે શુરવીર યોદ્ધા! તારી પાસે વિવિધ પ્રકારની શક્તિઓ હોવાથી તું એકલો ભ્રમણ કર અને તારા શક્તિશાળી શસ્ત્રોથી ધનિક દસ્યુ(અપરાધી) અને સનકનો (અનીતિથી બીજાની વસ્તુઓ ચોરી લેનાર) નાશ કર. તારા શસ્ત્રોથી તેઓ મૃત્યું પામે. આ સનક સત્કામો રહિત હોય છે.
આ મંત્રમાં દસ્યુ માટે “અયજ્વ” વિશેષણનો પ્રયોગ થયો છે. કેટલે કે જે વ્યક્તિ સત્કામો અને સારા સંકલ્પો રહિત હોય છે અને પાપકર્મો કરનારો અપરાધી હોય. આથી જ રાજાને પોતાની પ્રજાના રક્ષણ માટે આવા લોકોની હત્યા કરવા કહેવામાં આવ્યું છે.
સાયણાચાર્યે દસ્યુને ચોર કહ્યો છે. દસ્યુ શબ્દ મૂળ “દસ” ધાતુમાંથી આવ્યો છે, કે જેનો અર્થ – ઉપકક્ષ્યા- (જે વિનાશને દોરે છે) થાય છે. આમ જે લોકો અપરાધી અને વિનાશકારી પ્રવૃત્તિના છે તેઓ દસ્યુ કહેવાય છે. આમ દસ્યુ કોઈ જાતિ કે નસલ નથી.
ઋગ્વેદ ૧.૩૩.૫
જે દસ્યુ(અપરાધી) સ્વયમ શુભ કર્મોથી રહિત છે અને બીજા નેક અને ઉમદા લોકો પ્રત્યે પણ દ્વેષ રાખે છે, તેવા અપરાધી દસ્યુઓ તમારી રક્ષાના પ્રતાપથી ભાગી છુટે છે. હે પરાક્રમી યોદ્ધા! તે બધી જ જગ્યાએથી – “અવ્રત” – શુભ કર્મો રહિત લોકોનો નાશ કર્યો છે.
આ મંત્રમાં દસ્યુ માટે ૨ વિશેષણનો પ્રયોગ થયો છે – “અયજ્વ” (શુભ કર્મો અને સંકલ્પો રહિત) અને “અવ્રત” (અનાચારી અને નિયમ ન પડનારા).
આમ દસ્યુ શબ્દ અપરાધિઓ માટે પ્રયોગ થયો છે તે વાત સ્પષ્ટ છે. અને સભ્ય સમાજમાં આવા લોકોને જે દંડ ફટકારવો જોઈએ તેવા જ દંડની ભલામણ વેદોમાં પણ કરવામાં આવી છે.
ઋગ્વેદ ૧.૩૩.૭
હે વીર યોદ્ધા! ભલે દસ્યુ હસે કે રડે, પણ તું આવા દસ્યુઓને ઉમદા અને નેક લોકથી બહુ દુર ભગાવ. શુભ સંકલ્પવાળા લોકો અને ઈશ્વરની ઉપાસના કરતા લોકોની આવા દસ્યુઓથી રક્ષા કર.
ઋગ્વેદ ૧.૫૧.૫
હે શુરવીર યોદ્ધા! તું તારી ચપળતા અને બુદ્ધિમત્તાથી આવા કપટી લોકોને ધ્રુજાવી દે કે જેઓ દરેક વસ્તુઓનો ઉપભોગ માત્ર પોતાના સ્વાર્થ માટે જ કરે છે. હે મનુષ્યોના રક્ષક! તું ઉપદ્રવ અને અશાંતિ ફેલાવનારા દસ્યુઓના નગરોને નષ્ટ કરી સત્યવાદી અને સરળ પ્રકૃતિવાળા લોકોનું રક્ષણ કર.
આ મંત્રોમાં એ લોકોને દસ્યુ કહેવામાં આવ્યાં છે કે જેઓમાં પરોપકારીતા જેવો એક પણ ગુણ જોવા મળતો નથી. જેઓ માત્ર પોતાના માટે જ વસ્તુઓનો ઉપભોગ કરવામાં માને છે. જેઓમાં દાનવૃત્તિ અને બીજાને સહાય કરવાની વૃત્તિનો અભાવ છે.
કૌષિતકી બ્રાહ્મણમાં આવા લોકોને અસુર કહ્યા છે. જે લોકો અપરાધી છે તેમને અસુર અથવા તો દસ્યુ કહેવામાં આવે છે. અસુર કે દસ્યુ નામની કોઈ જાતિ નથી.
ઋગ્વેદ ૧.૫૧.૬
હે શુરવીર યોદ્ધા! તું પ્રજાનું શોષણ કરનારનો વધ કરે છે અને ઋષિઓની રક્ષા કરે છે. બીજાની સહાય કરનારા પરોપકારી અને કલ્યાણકારી લોકોના રક્ષણ માટે તું શક્તિશાળી દુષ્ટ લોકોનો પણ નાશ કર. તું હંમેશા દસ્યુઓના (દુષ્ટો અને અપરાધીઓ) સંહાર માટે વારંવાર જન્મ લેતો રહે.
આ મંત્રમાં દસ્યુ માટે “શુષ્ણ” વિશેષણનો પ્રયોગ કરાયો છે. જેનો અર્થ શોષણ કરવું – દુઃખ આપવું – એવો થાય છે.
ઋગ્વેદ ૧.૫૧.૭
હે ઈશ્વર! તું આર્ય અને દસ્યુ વચ્ચેનું અંતર સારી રીતે જાણે છે. તું સત્કર્મો કરનાર લોકોની રક્ષા માટે “અવ્રત” (શુભ કર્મોના વિરોધી) દસ્યુઓનો સંહાર કર. હે ઈશ્વર! સત્કર્મો કરવા માટે મને પ્રેરિત કર.
ઋગ્વેદ ૧.૫૧.૯
હે શુરવીર યોદ્ધા! નિયમોનું પાલન કરનાર, શુભ કર્મો કરવાનો સંકલ્પ લેનાર અને બીજા લોકોના કલ્યાણ માટે સત્કર્મો કરનારની રક્ષા માટે વ્રત રહિત(અવ્રત) દસ્યુઓનો નાશ કર. વાણીથી ઈશ્વરની ઉપાસના કરનાર અને વ્યહવારમાં વિનમ્ર વાણીનું ઉચ્ચરણ કરનાર લોકોના રક્ષણ માટે, હે શુરવીર યોદ્ધા!, તું અસંસ્કારી અને અનાચારી લોકોને તારા વશમાં રાખ.
ઋગ્વેદ ૧.૧૧૭.૨૧
હે શુરવીર યોદ્ધાઓ! નેક અને ઉમદા લોકોને રક્ષણ આપ અને દસ્યુઓનો નાશ કર. આ મંત્રમાં રચનાત્મક કાર્યો કરતા લોકોને “આર્ય” નામથી સંભોધિત કરાયા છે.
ઋગ્વેદ ૧.૧૩૦.૮
હે શક્તિશાળી યોદ્ધા! તું – સાધારણ, સ્પર્ધા માટે અને સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ એવા – ત્રણ પ્રકારના સંગ્રમોમાં ભાગ લઇ યજમાન આર્ય (ઉત્તમ ગુણ, સ્વભાવ અને કર્મના) લોકોનું રક્ષણ કર. અને હિંસાના ઇચ્છુક અને હિંસામાં રચ્યાં રહેનારા અને જેમનું અંત: કારણ કાળું પડી ગયું છે તેવા અવ્રત લોકોનો સંહાર કર.
અહી “કૃષ્ણત્વક” શબ્દ કાળી ચામડી વાળા લોકો માટે પ્રયોગ કરાયો છે તે એક ખોટી કલ્પના છે. અહી “કૃષ્ણત્વક” શબ્દનો પ્રયોગ જેમનું અંત: કારણ કાળું પડી ગયું છે તેવા લોકો માટે થયો છે. આની સાથે સાથે અહી “તતૃષાણમ્” અને “અર્શસાનમ્” શબ્દો પણ આવ્યા છે. જેનો અર્થ “હિંસામાં રચ્યાં રહેનાર” અથવા તો “હિંસા કરનાર” એવો થાય છે. આનાથી વિરુદ્ધ, “આર્ય” શબ્દ શ્રેષ્ઠ અને પરોપકારી મનુષ્ય માટે પ્રયોગ થયો છે.
અહી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે આર્ય અને દસ્યુ શબ્દો ગુણ વાચક છે, નહિ કે જાતિ વાચક.
ઋગ્વેદ ૩.૩૪.૯
આ મંત્ર પણ આર્યોની રક્ષા અને દસ્યુના સંહારની વાત કહે છે. અહી આર્ય માટે વર્ણ શબ્દનો પ્રયોગ કરાયો છે. વર્ણનો અર્થ જે સ્વીકાર કરવા યોગ્ય છે તેવો થાય છે. આથી આર્ય વર્ણ શબ્દનો અર્થ સ્વીકાર કરવા યોગ્ય વ્યક્તિ એવો થાય છે.
ઋગ્વેદ ૪.૨૬.૨
હું આર્યને ભૂમિ આપું છું, દાની વ્યક્તિને વર્ષા આપું છું અને બધા મનુષ્યોને બીજી સંપદા આપું છું.
અહી આર્ય શબ્દનો દાનવીર લોકો માટે વિશેષણ રૂપમાં પ્રયોગ કરાયો છે.
વધુ જાણકારી માટે તમે ઋગ્વેદના નીચેના મંત્રોનો અભ્યાસ કરી શકો છો:
ઋગ્વેદ ૪.૩૦.૧૮
ઋગ્વેદ ૬.૧૮.૩
ઋગ્વેદ ૬.૨૨.૧૦
ઋગ્વેદ ૬.૨૫.૨
ઋગ્વેદ ૬.૩૩.૩
ઋગ્વેદ ૬.૬૦.૬
ઋગ્વેદ ૭.૫.૭
ઋગ્વેદ ૭.૧૮.૭
ઋગ્વેદ ૮.૨૪.૨૭
ઋગ્વેદ ૮.૧૦૩.૧
ઋગ્વેદ ૧૦.૩૮.૩
ઋગ્વેદ ૧૦.૪૩.૪
ઋગ્વેદ ૧૦.૪૦.૩
ઋગ્વેદ ૧૦.૬૯.૬
આ મંત્રોના અભ્યાસ પરથી તમને ખ્યાલ આવી જશે કે આ મંત્રોમાં ગુણ, કર્મ અને સ્વભાવથી જ મનુષ્ય આર્ય કે દસ્યુ કહેવામાં આવ્યો છે. એટલે કે ઉત્તમ સ્વભાવવાળા, પરોપકારી અને શાંતિપ્રિય વ્યક્તિને આર્ય અને, અનાચારી અને અપરાધી પ્રકૃતિવાળા વ્યક્તિને દસ્યુ કહેવામાં આવ્યો છે.
ઋગ્વેદ ૬.૨૨.૧૦ દાસને પણ આર્ય બનવાની શિક્ષા આપવાનું કહે છે. આથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે મનુષ્ય તેના ગુણ, સ્વભાવ અને કર્મોથી આર્ય કે દસ્યુ બને છે. આર્ય કે દસ્યુ કોઈ જાતિ નથી.
ઋગ્વેદ ૬.૬૦.૬ કહે છે કે જો આર્ય (ઉત્તમ મનુષ્ય) પોતાનામાં અપરાધની પ્રવૃત્તિ વિકસિત કરે તો તેનો પણ સંહાર કરવો જોઈએ. ઋગ્વેદ ૧૦.૬૯.૬ અને ઋગ્વેદ ૧૦.૮૩.૧ આજ સત્યને ફરીથી કહે છે.
આમ આર્ય એ કોઈ સદા રહનારું વિશેષણ નથી. આર્ય એ ગુણ વાચક શબ્દ છે. શ્રેષ્ઠ ગુણોવાળા મનુષ્યોને આર્ય કહેવામાં આવે છે. પોતાને આર્ય કહેડાવવા માટે આ શ્રેષ્ઠતાનો ગુણ મનુષ્યે સદા જાળવી રાખવો પડે છે. જો મનુષ્ય આમ કરવામાં સક્ષમ ન રહે અને અપરાધ વૃત્તિઓ તરફ વળે તો તે પણ દાસ અને દસ્યુ જેવી જ સજાને પાત્ર બને છે.
અથર્વવેદ ૫.૧૧.૩
આ મંત્ર કહે છે કે ઈશ્વરના નિયમ વિરુદ્ધ કોઈપણ – દાસ કે પછી આર્ય – જઈ શકતું નથી.
શંકા:
કેટલાક લોકો આ મંત્રનો ખોટો અર્થ કરે છે અને કહેતા ફરે છે કે આ મંત્રમાં દાસ જાતિ અને આર્ય જાતિનો ઉલ્લેખ થયો છે. કારણ કે જો દાસનો અર્થ અપરાધી છે, તો પછી ઈશ્વર અપરાધીઓને અપરાધ કરવા જ કેમ દે છે? ઈશ્વર પોતે જ કહે છે કે તેના નિયમો વિરુદ્ધ કોઈ જઈ શકતું નથી.
સમાધાન:
ઈશ્વરના નિયમનો એવો અર્થ નથી કે તે આત્માની કર્મ કરવાની સ્વંત્રતા અવરોધે છે. મનુષ્ય યોનીમાં આત્માને ઈચ્છા અને કર્મની સ્વતંત્રતા હોય છે. અને આથી આત્મા સત્કર્મો કે પાપકર્મો કરવા માટે સ્વતંત્ર છે. આત્માની આ કર્મની સ્વતંત્રતા પણ ઈશ્વરનો એક નિયમ છે. પણ કર્મ કર્યા બાદ આત્મા કર્મના ફળ માટે ઈશ્વર આધીન છે. આત્માને તેના સારા અને ખરાબ કર્મોના પરિણામો ભોગવ્યા સિવાય છુટકો નથી. આ મંત્રમાં આ જ સત્ય પર ભાર મુકવામાં આવ્યો છે.
આ જ સુક્તાના આગળના બે મંત્રો – અથર્વવેદ ૫.૧૧.૪ અને અથર્વવેદ ૫.૧૧.૬ – આ જ સત્યની વધુ સમજણ આપે છે. આ મંત્રો કહે છે કે, સૌથી ખરાબમાં ખરાબ મનુષ્ય પણ ઈશ્વરના આ અપરીવર્તનશીલ નિયમોથી ડરે છે, પરંતુ તેઓ અન્ય મનુષ્યોથી ડરતા નથી અને ઉપદ્રવ મચાવતા રહે છે. આથી અહી ઉપાસકોએ ઈશ્વરને પ્રાથર્ના કરી છે કે, દુષ્ટ, પાપી અને અધર્મી લોકો નબળા અને શક્તિહીન બની રહે અને વિદ્વાનોની બઢતી થાય.
એ વાતની નોંધ લો કે માત્ર અપરાધીઓ માટે જ દાસ અને દસ્યુ શબ્દોનો પ્રયોગ થયો નથી. પણ ઘણા મંત્રોમાં જ્ઞાન, તપસ્યા અને સત્કર્મોથી દ્વેષ રાખનારા લોકો માટે “બ્રહ્મ દ્વેષી” શબ્દ પણ આવ્યો છે.
ઉદાહરણ તરીકે, ઋગ્વેદ ૩.૩૦.૧૭ અને ૭.૧૦૪.૨ મંત્રો બ્રહ્મ દ્વેષી, નરભક્ષક, ભયંકર અને કુટિલ લોકોને યુદ્ધ કરી વશમાં કરવા માટે કહે છે. આમ જેમ નરભક્ષક, ભયંકર અને કુટિલ એ કોઈ જાતિ નથી, તેવી રીતે બ્રહ્મ દ્વેષી, દાસ કે દસ્યુ એ કોઈ જાતિ નથી. મનુષ્યોમાં રહેલા અવગુણો અને અપરાધવૃત્તિ દર્શાવતા આ શબ્દો છે.
ઋગ્વેદ ૭.૮૩.૭ મંત્ર આ વાતને વધુ સ્પષ્ટ કરતા કહે છે કે, ૧૦ અપરાધી પ્રવૃત્તિવાળા રાજાઓ ભેગા મળીને પણ એક સદાચારી રાજાને હરાવી શકતા નથી. કારણ કે ઉત્તમ મનુષ્યોની પ્રાર્થના હંમેશા પૂર્ણ થાય છે અને તે સદાચારી રાજાને બીજા શક્તિશાળી અને સદાચારી લોકોનો સહયોગ અને અન્ય સાધનોની પ્રાપ્તિ થતી રહે છે. અહી અપરાધી પ્રવૃત્તિવાળા લોકો માટે “અયજ્વ” શબ્દ આવ્યો છે જેનો ઉપરના કેટલાક મંત્રોમાં દસ્યુ માટે પણ પ્રયોગ થઇ ચુક્યો છે.
અહીં દુઃખની વાત એ છે કે કેટલાક અજ્ઞાની પશ્ચિમી બુદ્ધીવાદીઓએ આ મંત્રમાં ૧૦ રાજાઓના યુદ્ધની વાત બતાવાનો પ્રયત્ન કર્યો છે!
અંતમાં, ઋગ્વેદ ૭.૧૦૪.૧૨ મંત્ર દ્વારા આપણે આર્ય, દાસ, દસ્યુ, અગ્રત, અયજ્વ, વચ્ચેના સંઘર્ષનો સાર સમજી લઈએ:
“વિદ્વાન એક વાત જાણી લે કે સત્ય(સત્) અને અસત્ય(અસત્) પરસ્પર સંઘર્ષ કરતા રહે છે. આ બંને હંમેશા એકબીજાને દબાવવાનો પ્રયત્ન કરતા રહે છે. પણ ઈશ્વર સદા સત્ય(સત્) અને શાશ્વત સત્યનું(ઋત) જ રક્ષણ કરે છે”
આવો આપણે પણ આપણાં જુઠા અભિમાન અને અહંકારનો ત્યાગ કરી સત્ અને ઋતના માર્ગ પર ચાલીએ.
This translation in Gujarati has been contributed by Ronak Trivedi.
This article is also available in English at Vedas and Dasyu
[mybooktable book=”no-caste-system-hinduism” display=”summary” buybutton_shadowbox=”true”]