જીવનનું લક્ષ્ય:
આ જ જન્મમાં મુક્તિની પ્રાપ્તિ
આવશ્યકતા:
મનુષ્ય માટે તેના આ જ જન્મમાં મુક્તિ મેળવવાનો એક માત્ર ટૂંકો અને શ્રેષ્ઠત્તમ માર્ગ એ છે કે, જે સંસ્કારોને દુર કરવામાં તેના જન્મ-જન્માંતર વીતી ગયા હોય, તે સંસ્કારોને માત્ર થોડા વર્ષોમાં જ દુર કરી દેવા. આ માટે યોગસ્વરૂપ જીવન અનિવાર્ય છે. પણ યોગસ્વરૂપ જીવન દૃઢ મનોબળ અને સક્ષમતા માંગી લે છે. આથી યોગીના સંપૂર્ણ જીવનકાળમાંથી પ્રથમ ચરણ (પહેલાં ૨૫ વર્ષ), કે જેમાં શારીરિક અને માનસિક ઉર્જાશક્તિનું સ્તર નીચું હોય, તેને બાદ કરી દેવાના.
આથી મુક્તિ માટે યોગદર્શનમાં સૂચવેલા કેટલાંક માપદંડને ધ્યાનમાં લઇ, જો હું મુક્તિ મેળવવા માટેના ઓછામાં ઓછા સમયનું અત્યંત મહત્વાકાંક્ષી અને આશાભર્યું અનુમાન લગાવું, તો પણ, જે લોકોએ અગાઉથી જાગૃત બની શીઘ્રતાથી મુક્તિમાર્ગ પર ચાલવાનું શરૂ ન કર્યું હોય, તે લોકો માટે તો આ જન્મમાં મુક્તિ મેળવી લેવી શક્ય જણાતી નથી!
તો પછી આમાંથી બહાર નીકળવાનો માર્ગ શો? એનો તો ખ્યાલ નથી. પણ આપણે અહીં એક ટૂંકા માર્ગની પ્રાયોગિક કસોટી કરી જોઈએ. યોગદર્શનમાં આ માર્ગને “ઈશ્વર સમર્પણ” નામ આપવામાં આવ્યું છે. જ્યારે બધી ગણતરીઓ અને અનુમાન ખોટા પડવા લાગે, ત્યારે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઇ જવું એ જ એક ઉત્તમ માર્ગ બાકી રહી જાય છે. પછી સમય જતા ઈશ્વર જ આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાડશે!
ઈશ્વરને સમર્પિત થયા બાદ, તે જ ક્ષણેથી, સર્વોત્તમ આદર્શો સાથે વધુ ઉચ્ચ લક્ષ્યોની પ્રાપ્તિ કરતા રહીં મુક્તિ તરફ આગળ વધતા રહો.
મેં પણ આ જ રીતે મુક્તિ માર્ગ પર આગળ વધવાનો નિશ્ચય કરેલ છે.
મને જ્ઞાન છે કે અનિત્યનો પરિત્યાગ અને નિત્યને પ્રાપ્ત કરવાનો મારો કોઈપણ સંકલ્પ ઈશ્વરમાન્ય અને ઈશ્વર સમ્માનિત હશે. પણ મારે પ્રારંભિક અધ્યયન અત્યંત ઝડપથી પૂર્ણ કરવાનું રહશે. મહિનાઓનો પાઠ્યક્રમ દિવસોમાં પૂર્ણ કરવાનો રહશે. અને આ માટે મારે સતત અને સ્થિર પ્રયાસ કરવાનો રહશે.
આ અભ્યાસક્રમ અનુસારનું જીવન જીવવા મારે આ જ ક્ષણથી તૈયાર રહેવું પડશે:
મુક્તિ માર્ગ:
- ઈશ્વરનું ધ્યાન આપણાં સહજ સ્વભાવનો એક ભાગ હોવો જોઈએ. જો મારું મન અન્ય વસ્તુઓમાં પરોવાયેલું ન હોય તો તે ઈશ્વરમાં સ્થિર હોય. પણ ઈશ્વરમાં મન સ્થિર કરવા માટે મારે પ્રયાસ કરવો ન પડે. હંમેશા સ્વાભાવિક રીતે જ મારું મન ઈશ્વરમાં સ્થિર થઇ જતું હોવું જોઈએ.
- કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફથી અસલામતી કે અસુરક્ષાનો ભાવ – સહેજ પણ નહીં
- સંસારિક વિષયવસ્તુઓમાં અસજ્જતા અને તૈયારીનો અભાવ – સહેજ પણ નહીં
- જે ભૌતિક સુખ-શાંતિ સ્પષ્ટ રીતે અને સહજતાથી પરમઆનંદ સ્વરૂપ મુક્તિને પામવામાં મદદરૂપ ન બને તે ભૌતિક સુખ-શાંતિની કામના – સહેજ પણ નહીં
- સ્વયં કે અન્યો પ્રત્યે ક્રોધ કે હતાશા – સહેજ પણ નહીં
- સ્વયં સાથે કે વિશ્વમાં ભાગ્ય કે નિયતિ દ્વારા અન્યાય થઇ રહ્યો હોવાની ભાવના – સહેજ પણ નહીં.
- ઉચાટ કે કંટાળો – સહેજ પણ નહીં. સર્વ સુખદાતા અને પરમ આનંદનો સ્ત્રોત ઈશ્વર આપણી અંતરાત્મામાં વસેલ છે અને સર્વદા આપણી સાથે રેહશે, તો પછી ઉચાટ શાનો!
- ઉત્તમ શારીરિક બાંધો અને ઉત્તમ આરોગ્ય
- ઉચ્ચ શારીરિક અને માનસિક ઉર્જાસ્તર અને ઉત્કૃષ્ટ કર્મો
- ખેદભાવ કે રંજ – સહેજ પણ નહીં
- અપ્રાકૃતિક ભયગ્રસ્થ પરિસ્થિતિઓ – સહેજ પણ નહીં
- પરિસ્થિતિઓનો સંપૂર્ણ સ્વીકાર. બધી જ બાહ્ય પરિસ્થિતિઓ આપણી આંતરિક વાસ્તવિકતાનું પરાવર્તન જ છે. આપણાં કર્મો સંસ્કારોનું સર્જન કરે છે અને સંસ્કારો આપણી આંતરિક વાસ્તવિકતાનું સર્જન કરે છે. આથી ઉત્તમ કર્મો એ જ આપણી બાહ્ય પરિસ્થિતિઓને સુખદાયી બનાવવાનો એક માત્ર માર્ગ છે.
- માત્ર ભવિષ્ય પર જ દ્રષ્ટિ. ભૂતકાળનો વર્તમાન કે ભવિષ્ય પર પ્રભાવ – સહેજ પણ નહીં
અનાવશ્યક રીતે કહું તો, યમ અને નિયમ આપણાં સહજ સ્વભાવનો એક ભાગ હોવો જોઈએ.
યમ:
- કોઈના પ્રત્યે દ્વેષભાવ નહીં
- મૂળભૂત સિદ્ધાંતિક સત્યની શોધ
- ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન નહીં
- ઈશ્વરપ્રાપ્તિ માર્ગમાં અવરોધ બનતી કોઈપણ વસ્તુની કામના નહીં
- લોભ, લાલસા કે લક્ષહીનતા નહીં
નિયમ:
- મન, વચન અને વિચારોની નિરંતર શુદ્ધિ
- કર્મના પરિણામ સ્વરૂપ ઈશ્વર તરફથી મળતા કર્મફળનો સંપૂર્ણ સ્વીકાર
- લક્ષ્ય પ્રાપ્તિ માટે સાચા અર્થમાં અથાગ અને સાહસી પ્રયાસ
- અભ્યાસ, આત્મનિરીક્ષણ, વિશ્લેષણ અને પ્રયાસ દ્વારા જ્ઞાન અને વિદ્ધતાની નિરંતર વૃદ્ધિ
- સંપૂર્ણપણે ઈશ્વર સમર્પિત જીવન
કેટલાંક નિયમોનું પાલન:
૧. જે ભૌતિક સુખ-શાંતિ કે કર્મને મુક્તિરૂપી અંતિમ લક્ષ્ય સાથે સીધો અને સહજ સંબંધ ન હોય તે સુખ અને કર્મ વાસ્તવમાં દુઃખ અને સમસ્યાઓનું મૂળ બને છે. આથી આવાં કર્મો અને સુખ-શાંતિનો જીવનમાંથી સંપૂર્ણ ત્યાગ કરો.
૨. જીવવાનો ઇષ્ટતમ માર્ગ – મુક્તિના એકમાત્ર લક્ષ્ય સાથે જીવાતું સાદું અને સરળ જીવન. બાકીનું બધું જ અનાવશ્યક અને મુક્તિ માર્ગમાં અવરોધક છે.
૩. અન્ય જીવોની સરખામણીમાં મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા અત્યાધિક છે. પરંતુ આ સમગ્ર સંસાર અને મનુષ્યની બુદ્ધિને પ્રેરિત કરનાર પરમ તેજસ્વી અને સર્વજ્ઞ પરમેશ્વરની તુલનામાં મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા નહીવત છે. આથી જ્યારે પરિસ્થિતિઓ આપણી સમજશક્તિની સીમા બહાર જવા લાગે ત્યારે ઉત્તમ રસ્તો એ જ છે કે આપણે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ, આત્માના અવાજને અનુસરી તે પ્રમાણેનું કર્મ કરીએ. સમજશક્તિ બહારની જટિલ પરિસ્થિતિઓને ઉકેલવાનો પ્રયત્ન મુક્તિ માર્ગમાં અવરોધક છે.
ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત રહીં, જટિલ પરિસ્થિતિઓને ઉકેલવાનો પ્રયત્નન કરવાની અવસ્થામાં, ઈશ્વર થકી આપણી બુદ્ધિને વધુ પ્રેરણા મળે છે. આમ થવાથી આપણી બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે કે જેથી આપણે વધુ કઠોર પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનીએ છીએ. કારણ કે છેવટે તો, જેવી સંગત તેવી અસર!
૪. આપણે શાશ્વત છીએ. આથી આપણાં યોગી સ્વરૂપ જીવનની સફળતાનું માપ આપણી ઉંમર નહીં, પરંતુ આપણી અને મુક્તિ વચ્ચે બાકી રહેલું અંતર હોવું જોઈએ.
૫. મિત્ર, શત્રુ, પ્રેમ, ભય, ધમકી, સમકક્ષ કે ઉપરી વ્યક્તિ વગેરે તરફના માનસિક દબાવની ચિંતા ન કરતા માત્ર આત્માના અવાજને અનુસરો. જો આમ કરવામાં આવશ્યકતા જણાય તો નિ:સંકોચ અન્ય ભૌતિક સુખ-શાંતિનો ત્યાગ કરો. આપણી ચારે તરફ અને આપણી અંદર સર્વદા વ્યાપ્ત રહેનાર ઈશ્વર સાથેના અતુટ બંધન સિવાયના અન્ય બધાં જ બંધનોમાંથી મુક્ત થાઓ.
૬. સંસારના સમસ્ત જડ કે ચેતન પદાર્થ સાથેનો આપણો સંબંધ ઈશ્વરને કારણે જ છે. જડ કે ચેતન પદાર્થ સાથે આપણો કોઈ જ સીધો સંબંધ ન હોય શકે. અને જો આમ માનતા હો તો તેવા સીધા સંબંધને તોડી, તેના પર પુન:વિચાર કરી, ઈશ્વર દ્વારા તે સંબંધને પુન:સ્થાપિત કરો.
તત્ક્ષ્ણના લક્ષ્યો:
૧. ઈચ્છાશક્તિ અને પૂર્ણભાવથી અવિરત પ્રયાસ દ્વારા સ્વયંને વારંવાર ઈશ્વરને સમર્પિત કરવાની વૃત્તિનો વિકાસ કરો. નિંદ્રામાં પણ સ્વાભાવિક રીતે ઈશ્વરનું ધ્યાન ન થાય ત્યાં સુધી ઈશ્વરમાં ધ્યાન લગાવવાનો સશક્ત પ્રયાસ કરતા રહો.
૨. મન, વચન અને કર્મમાં સહેજ પણ પાપભાવ ઉત્પન્ન થતા ઈશ્વર તરફથી ક્ષમાદ્રષ્ટિની અપેક્ષા રાખી તમામ નકારાત્મક અને પાપભાવયુક્ત વિચારોના નિર્મૂલન માટે ઈશ્વરને પ્રાર્થના કરતા રહો. આપણાં વિચારો ઈશ્વરમાં સ્થિર થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો.
માત્ર ઈશ્વર જ આપણી બુદ્ધિનો પ્રકાશક હોવો જોઈએ.
માત્ર ઈશ્વર જ બુદ્ધિનો પ્રેરક હોવો જોઈએ.
માત્ર ઈશ્વર પ્રાપ્તિ જ મનની અભિલાષા હોવી જોઈએ.
ઈશ્વર પ્રાપ્તિના માર્ગથી સહેજ પણ વિચલિત કરનાર કોઇપણ નાનામાં નાની વસ્તુ પ્રત્યે અરુચિ અને જીવનમાંથી તેને રદ કરી દેવાની ભાવના જ્યાં સુધી વિકસિત ન થાય ત્યાં સુધી અભ્યાસ કરતા રહો.
આપણાં વિચાર અને મનની શુદ્ધતા – યોગ નિયમમાં શૌચ – માટે ઈશ્વર સમક્ષ શુદ્ધભાવથી પ્રશ્વાતાપ કરી આપણાં વિચારો ઈશ્વરમાં સ્થિર થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવી એ ઉત્તમ માર્ગ છે.
૩. બીજા ગૌણ અને મહત્વહીન લક્ષ્યોને જીવનમાં કોઈ સ્થાન નહીં. જેટલા વધારે આવાં મહત્વહીન લક્ષ્યો આપણાં જીવનમાં હશે તેટલી વધુ આપણી ઉર્જાશક્તિ વેડફાશે. જીવનમાં માત્ર એ જ ઉદેશ્યોને પૂર્ણ કરવા સાર્થક છે જે ઉદેશ્યો ઈશ્વરને પામવા માટેની પ્રક્રિયા દરમિયાન સ્વાભાવિક રીતે હદયમાંથી પ્રગટ થતા હોય. પરિસ્થિતિઓ, સમાજ કે અન્ય લોકો દ્વારા કૃત્રિમ રીતે થોપવામાં આવેલા લક્ષ્યોને વધુ મહત્વ આપવાની જરૂર નથી. સ્વયંમાંથી જ જીવનની દિશા શોધવાનો પ્રયત્ન કરો.
Original post in English is available at http://agniveer.com/diary-yogi-page-1/