આ ટૂંકા લેખમાં આપણે મનુસ્મૃતિમાંથી જ પ્રમાણો લઈને બીજા આરોપનું ખંડન કરીશું કે – મનુસ્મૃતિમાં શૂદ્રો માટે કઠોર દંડનું વિધાન છે અને મહર્ષિ મનુ ઊંચી જાતિના લોકો – ખાસ કરીને બ્રાહ્મણો – માટે વિશેષ અધિકારોની વાત કરી છે.
“મનુસ્મૃતિ અને શૂદ્ર”લેખમાં જણાવ્યાં પ્રમાણે મનુસ્મૃતિમાંના કુલ ૨૬૮૫ શ્લોકોમાંથી ૧૪૭૧ શ્લોકોમાં પ્રક્ષેપ થયેલો છે.
આમ મનુસ્મૃતિમાંના જે શ્લોકો ઊંચી જાતિના લોકો – ખાસ કરીને બ્રાહ્મણો – માટે વિશેષ અધિકારોની અને શૂદ્રો માટે કઠોર દંડનો આદેશ કરે છે, તે બધાં જ શ્લોકોમાં પ્રક્ષેપ થયેલ છે. આ પ્રક્ષેપગ્રસ્થ શ્લોકોને મનુસ્મૃતિમાંથી સરળતાથી અલગ કરી શકાય છે.
જો આપણે વેદ આધારિત મૂળ મનુસ્મૃતિનું અધ્યયન કરીશું તો હકીકત કાંઈક જુદી જ જોવા મળશે. મૂળ મનુસ્મૃતિ અનુસારની દંડ વ્યવસ્થામાં અપરાધીની શિક્ષાનું સ્તર, અપરાધીની પદવી, અપરાધીનો સમાજ પર પ્રભાવ, અપરાધનો પ્રકાર અને અપરાધની સમાજ પર અસર, જેવી મહત્વની બાબતોને ધ્યાનમાં લીધા પછી જ અપરાધીને તે અનુસારનો યોગ્ય દંડ ફરકારવામાં આવે છે.
મનુ બ્રાહ્મણોને -જ્ઞાની અને શિક્ષિત વર્ગ- સમાજમાં ઊંચું સ્થાન, સન્માન અને પ્રતિષ્ઠા આપે છે. “દ્વિજ” – શિક્ષા પૂર્ણ કરનાર – જ્યાં સુધી સમાજની ઉન્નતિ અને કલ્યાણ માટે આદર્શ કર્મો કરે છે ત્યાં સુધી તેઓ સમાજમાં ઉચ્ચ સ્થાન, સન્માન અને પ્રતિષ્ઠાને પાત્ર છે. પણ જો આ પ્રતિષ્ઠિત વર્ગ અપરાધ કરે તો તેઓને સાધારણ નાગરિકની સરખામણીમાં વધુ આકરો દંડ ફટકારાય છે. કારણ કે સામર્થ્ય દ્વારા ઉચ્ચ સામાજિક અને રાજકીય હોદ્દો પ્રાપ્ત થાય છે. પરતું ઉચ્ચ હોદ્દાની સાથે સાથે વ્યક્તિનું ઉત્તરદાયિત્વ પણ એટલું જ વધે છે. આથી જો ઉચ્ચ હોદ્દા પર બેઠેલ સત્તાધારી વ્યક્તિ તેના ઉત્તરદાયિત્વનો નિર્વાહ કરવામાં નિષ્ફળ નીવડે તો તે વધુ આકરા દંડને પાત્ર છે.
(અહીં હું ફરીથી એ વાત પર ભાર મુકું છું કે “બ્રાહ્મણ” કે “દ્વિજ” શિક્ષા પૂર્ણ કરનારના વિશેષણ છે. અહીં જન્મજાત બ્રાહ્મણ વિષે વાત નથી થઇ રહી.)
જો આપણાં દેશની વર્તમાન દંડ વ્યવસ્થાને સ્થાને મૂળ મનુસ્મૃતિ અનુસારની દંડ વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો દેશમાંથી લગભગ બધાં જ અપરાધો અને ભ્રષ્ટાચારનો સફાયો થઇ જાય. આ ઉપરાંત વર્તમાન સમયની જેમ દેશની રાજનીતિમાં ગમે તેવો ભ્રષ્ટ લોકો ઘુસી તેને પ્રદુષિત કરવાની હિંમત પણ ન કરે.
વધુ માહિતી માટે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા રચિત સત્યાર્થ પ્રકાશ કે Light of Truth નું છઠ્ઠું પ્રકરણ અને ડો. સુરેન્દ્ર કુમાર દ્વારા સંપાદિત મનુસ્મૃતિનું આઠમું, નવમું અને દસમું પ્રકરણ વાંચો.
આપણે આ વિષય પર મૂળ મનુસ્મૃતિમાંના કેટલાંક શ્લોકો જોઈએ.
૮.૩૩૫: ભલેને તે પિતા, આચાર્ય, મિત્ર, સ્ત્રી, પુત્ર અને પુરોહિત કેમ ન હોય, જો તે ધર્મમાં સ્થિર રહેતો નથી અને અપરાધ કરે તો તે દંડને પાત્ર છે.
૮.૩૩૬: જે અપરાધમાં સાધારણ નાગરિક પર એક પૈસો દંડ હોય, તે જ અપરાધમાં રાજા અથવા તો સત્તા પર બેઠેલા શાસકવર્ગ માટે હજાર પૈસાનો દંડ હોવો જોઈએ. એટલે કે સાધારણ દેશ નાગરિકો કરતા ઊંચી રાજકીય, નાણાકીય અને વહીવટી સત્તા પર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે પછી ન્યાયાલયમાં બેઠેલા લોકોને હજાર ઘણો દંડ ફટકારવો.
ધારાસભ્યો અને ન્યાયાધીશોનું કાયદાની પકડમાંથી શર્મનાક રીતે છટકી જવું એ મનુવાદ વિરુદ્ધ છે.
સ્વામી દયાનંદ આગળ કહે છે કે: સરકારી કાર્યાલયોમાં કામ કરનાર નાનામાં નાના ચપરાસીને પણ સામાન્ય નાગરિકની સરખામણીમાં આઠ ગણો દંડ ફટકારવો. ત્યાર બાદ પદવી અને હોદ્દો જેમ વધતો જાય તેમ તેના દંડમાં પણ ઉત્તરોતર વધારો કરવો. સૌથી ઉંચા હોદ્દા પર બેઠેલા અધિકારીને સામાન્ય નાગરિકની સરખામણીમાં હજાર ગણો દંડ ફટકારવો. કારણ કે જો સરકારી અધિકારીને સામાન્ય નાગરિકની સરખામણીમાં વધુ આકરો દંડ ફટકારવામાં ન આવે તો સરકાર સામાન્ય પ્રજાનો નાશ કરી દે. જેમ સિંહ અધિક અને બકરી થોડા દંડથી વશ થઇ જાય છે તેમ, સામાન્ય પ્રજાની સલામતીને ધ્યાનમાં લેતા, સરકારી અધિકારીઓને સખત દંડ ફટકારવો.
આવા દંડ વિધાનનો અભાવ જ દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ છે. જ્યાં સુધી વર્તમાન દંડ વ્યવસ્થામાં આવો સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને સમૃદ્ધ બનાવવાના આપણાં બધાં જ પ્રયત્નો નિષ્ફળ નીવડશે.
૮.૩૩૭-૩૩૮: જે વિવેકી હોવા છતાં ચોરી કરે તે શૂદ્રને સાધારણ ચોરથી આઠ ગણો, વૈશ્યને સોળ ગણો, ક્ષત્રિયને વીસ ગણો, બ્રાહ્મણને ચોસઠ ગણો કે સો ગણો અથવા એકસો અઠ્ઠાવીસ ગણો દંડ કરવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, જેનું જેટલું જ્ઞાન અને જેટલી પ્રતિષ્ઠા અધિક હોય, તેને અપરાઘમાં પણ તેટલો જ અધિક દંડ ફટકારવો.
આમ મનુસ્મૃતિમાં શૂદ્રો માટે સખત દંડનું વિધાન નથી. મનુસ્મૃતિમાં શૂદ્રોની અજ્ઞાનતાને ધ્યાનમાં લેતા અન્ય વર્ણના લોકોની સરખામણીમાં ઓછો દંડ ફટકારવાનું વિધાન છે. ઉલટાનું બ્રાહ્મણો અને સરકારી અધિકારીઓ માટે મનુસ્મૃતિમાં સખત દંડનું વિધાન છે. આમ આજના સમયમાં પ્રધાન મંત્રી, મુખ્ય મંત્રી મુખ્ય ન્યાયાધીશ, રાજનૈતિક દળના નેતાઓ તેમના અપરાધ માટે સખત દંડને પાત્ર છે. પછી વારો આવે મંત્રીઓ, ધારાસભ્યો, રાજ્યપાલ, ન્યાયાધીશોનો અને પછી નોકરીશાહી વર્ગ અને સરકારી કર્મચારીઓનો. સરકારી કાર્યાલયોમાં કામ કરનાર નાનામાં નાના ચપરસીને પણ સામાન્ય નાગરિકની સરખામણીમાં અધિક દંડ ફટકારવો.
પોતાની જવાબદારી પૂરી ન કરનાર શિક્ષિત અને સત્તાધરી વર્ગ સાધારણ નાગરીકની સરખામણીમાં અધિક દંડને પાત્ર છે.
અગાઉ જણાવ્યાં પ્રમાણે, ઉચ્ચ સામાજિક અને રાજકીય સત્તા પર બેઠેલ વ્યક્તિનું ઉત્તરદાયિત્વ પણ એટલું જ વધારે હોય છે. આથી જો તે પોતાના ઉત્તરદાયિત્વનો નિર્વાહ કરવામાં નિષ્ફળ નીવડે તો તે વધુ આકરા દંડને પાત્ર છે. આ જ મૂળ મનુસ્મૃતિ અનુસારની દંડ વ્યવસ્થા છે.
આમ જો આજના જન્મજાત બ્રાહ્મણો પોતાને જન્મજાત શૂદ્રો કરતા સર્વોપરી માની વિશેષ અધિકારોની માંગણી કરતા હોય તો તેઓએ શૂદ્રોની સરખામણીમાં વધુ આકરા દંડ માટે તૈયાર રહેવું પડશે. મોટા ભાગના જન્મજાત બ્રાહ્મણો વેદજ્ઞાનથી વંચિત છે. હવે મનુસ્મૃતિ ૨.૧૬૮ અનુસાર: જે બ્રાહ્મણ વેદોનું અધ્યાય અને આચરણ છોડી અન્ય નિરર્થક વિષયોમાં પરિશ્રમ કરે છે તે શૂદ્રત્વને પામે છે.
આ તો બ્રાહ્મણોનું અપમાન છે. ખોટી મનુસ્મૃતિ ૧૧.૨૦૪: અનુસાર બ્રાહ્મણોનું વાણીથી પણ અપમાન કરનારે એક દિવસ ભૂખ્યા રહી તેના આ અપરાધનો પ્રશ્વાતાપ કરવો. આથી ખોટી મનુસ્મૃતિનો આશરો લઇ જે પોતાને જન્મજાત બ્રાહ્મણો માને છે તેઓ જો વેદોમાં પારંગત ન હોય અને અપ્રિય વચનોથી દૂર ન રહે તો તેઓ ઓછામાં ઓછા ૬૪ દિવસ સુધી ભૂખ્યા રહે.(સામાન્ય નાગરિકોની સરખામણીમાં બ્રાહ્મણોને ૬૪-૧૨૮ ગણો દંડ થવો જોઈએ!)
આમ બ્રાહ્મણોને બંને બાજુથી લાભ ન થઇ શકે. કા તો તેઓ તર્કપૂર્ણ અને પ્રમાણિક બની, મનુસ્મૃતિ પ્રમાણેનું આચરણ કરે અને જન્મજાત જાતિ પ્રથાનો અસ્વીકાર કરી તેનો સંપૂર્ણ ત્યાગ કરે, અથવા તો પછી, જ્યાં સુધી વેદોમાં પારંગત ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછા ૬૪ દિવસ સુધી ભૂખ્યા રહે. અને આમ કર્યા બાદ પણ જો તેઓ વેદજ્ઞાની ન બને તો પછી ફરીથી બીજા ૬૪ દિવસ સુધી ભૂખ્યા રહેવા માટે તૈયાર રહે!
આમ મનુની ગુણ અને કર્મ પર આધારિત સમાજ વ્યવસ્થામાં જન્મ પર આધારિત જાતિ પ્રથાને કોઈ સ્થાન નથી! જે લોકો જન્મજાત બ્રાહ્મણો માટે વિશેષ અધિકારોની અને ઓછા દંડને સમર્થન આપે છે તેઓ મહર્ષિ મનુ, વેદ અને માનવતાના શત્રુ છે. મનુસ્મૃતિ અનુસાર આવાં જે લોકો જે સમાજને મોટું નુકસાન પહોચાડે છે તેઓ સખત દંડને પાત્ર છે.
આમ શૂદ્રો સખત દંડને પાત્ર છે તેમ માનવું એ મોટો ભ્રમ છે!
આવો આપણે સર્વ રાષ્ટ્રને ભ્રષ્ટ રાજકારણીઓ, ભ્રષ્ટ ન્યાયતંત્ર અને તથાકથિત બુદ્ધીજીવીઓની જાળમાંથી મુક્ત કરવા મનુસ્મૃતિ અનુસારની દંડ વ્યવસ્થાને અપનાવી રાષ્ટ્રને ઉન્નત બનાવીએ.
મનુસ્મૃતિ ૭.૧૭-૨૦:
જે દંડ વ્યવસ્થા છે તે જ રાજા, તે જ ન્યાયનો પ્રચારકર્તા અને સર્વનો શાસનકર્તા છે. દંડ જ અનુશાસ અને વ્યવસ્થાનો સ્થાપક છે. દંડ જ ચાર વર્ણ અને ચાર આશ્રમોના ધર્મનો રક્ષક છે.
દંડ જ સર્વ પ્રજાઓ શાસનકર્તા, છે. દંડ જ પ્રજાની બધી બાજુએથી (દુષ્ટો વગેરેથી) રક્ષા કરે છે આથી તે સર્વ પ્રજાનો રક્ષક છે. સૂતેલા પ્રજાસ્થ મનુષ્યોમાં દંડ જ જાગતો રહે છે એટલે કે પ્રમાદ અને એકાંતમાં થતા અપરાધો કરતી વખતે દંડનું ધ્યાન જ અપરાધીને ભયભીત કરી તેને રોકે છે. દંડનો ભય એક એવો ભય છે, જે સુતો હોવા છતાં જાગતો રહે છે, આ માટે બુદ્ધિમાન લોકો દંડ = દંડ વિધાનને જ ધર્મ માને છે.
જો દંડ સારી રીતે વિચાર કરીને આપવામાં આવે તો તે સકલ પ્રજાને આનંદિત કરે છે, પણ જો વિના વિચારે દંડ આપવામાં આવે તો તે રાજા/શાસકનો વિનાશ કરી દે છે.
દંડ વ્યવસ્થાનો દુરુપયોગ કરી આપણાં સમાજ અને રાષ્ટ્રના હિતને જોખમમાં મુકનાર ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓનો ખાતમો કરવાનો અને જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થાની આડમાં ભેદભાવ અને પક્ષપાતનું સમર્થન કરનારને કઠોર દંડ ફટકારવાનો સમય આવી ગયો છે!
આમ કરવાથી જ સમાજ, રાષ્ટ્ર અને માનવતાનું રક્ષણ થઇ શકશે.
આમ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી!
સંદર્ભ: ડો. સુરેન્દ્ર કુમાર, પંડિત ગંગાપ્રસાદ ઉપાધ્યાય અને સ્વામી દયાનંદ સરસ્વતીની રચનાઓ.
Original post in English is available at http://agniveer.com/manu-smriti-and-punishment/
We need to our culture and Our Granth like Vedas, Upnishads…Re live and educate to in our Basics….need to add them in our education system…In our Syllabus.
Brother Vijay,
Before that happens, you can help us spread the Agniveer articles door to door so people become more aware about our great Vedic culture and granths
[…] This post is also available in Gujarati at http://agniveer.com/manu-smriti-and-punishment-gu/ […]